સંપાદકીય–૭
મને કોઈ દત્તક લ્યો
આ અંકમાં શ્રી જયંતિલાલ આલગિયા લિખિત ‘નર્સિંગ હોમમાં કેમ રહેવું’ લેખ ઉપરથી આ લખવાની પ્રેરણા થઈ. આ લેખમાં એમણે એમની બાના નર્સિંગ હોમમાં રહેવાના સુખદ અનુભવની વાત કરી છે તે પ્રેરણાદાયક છે. આપણે ઘણીવાર Positive attitude હકારાત્મક અભિગમ રાખવા વિશે વાંચીએ છીએ. અહીં તો એવો હકારાત્મક અભિગમ એમની બાના જીવનમાં ગૂંથાઈને ઓતપ્રોત થયેલો જોવા મળે છે.
આપણામાંથી ઘણા મોટા વર્ગે હવે ‘નર્સિંગ હોમ’ પ્રતિ પ્રણાય કરવું પડે એવી અવસ્થાએ આપણે પહોંચી ગયા છીએ. ‘નર્સિંગ હોમ’ માં સ્વેચ્છાએ જવાનું કોને ગમે? અને છતાં સંજોગો આપણેને નર્સિંગ હોમમાં જવાની ફરજ પાડતા હોય છે. નર્સિંગ હોમમાં જવું પડશે કે નહીં તેનો આધાર મુખ્યત્વે ત્રણ જાતના સંજોગો પર આધારિત છે.
(૧) કેટલાંક અસંસ્કારી સંતાનો માતાપિતાનું ભરણપોષણ અને તેમની સેવાસુશ્રુષા કરવાની જવાબદારી લેવા ઇચ્છતાં નથી હોતાં. જરૂર ન હોવા છતાં પણ તેઓ પરાણે માબાપને નર્સિંગ હોમમાં ધકેલી દેવાનું પસંદ કરતાં હોય છે.
(૨) કેટલાંક સંસ્કારી સંતાનો માતા પિતા પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ ધરાવતાં હોવા છ્તાં સમયના તકાજાને તાબે થઈ ભારે હૈયે માતાપિતાને નર્સિંગ હોમમાં રહેવા મોકલતાં હોય છે અને નિયમિત તેમની દેખરેખ રાખતાં રહે છે.
(૩) સંસ્કારી સંતાનોનો એક વર્ગ એવો પણ છે જે કોઈપણ ભોગે માતાપિતાને નર્સિંગ હોમમાં નથી જ મોકલવાં એવો દૃઢ નિશ્ચય કરીને બેઠાં હોય છે અને એ માટે કાંઈ પણ ભોગ આપવો પડે તેની પુર્વ તૈયારી કરીને બેઠા હોય છે.
આ ત્રીજી કક્ષાની પરિસ્થિતિ ઉત્તમ હોવા છતાં આપણું સ્થાન આ છેલ્લી કક્ષામાં હશે જ એમ આપણે છાતી ઠોકીને કહી શકીએ એમ નથી. આમ નર્સિંગ હોમમાં રહેવાની ફરજ પડવાની જ છે એવી માનસિક તૈયરી રાખીને ચાલવું એમાં આપણું શ્રેય છે. એમાં આ લેખમાંથી કાંઈક માર્ગદર્શન મળી રહેશે એવી આશા છે.
વૃધ્ધાવસ્થા એક એવી અવસ્થા છે જેમાં વાત આપણી હોવા છતાં આપણે કોઈ નિર્ણયમાં ભાગ લઈ શકતા નથી. મનસુખલાલ ઝવેરીનું એક કાવ્ય ‘વિષણ્ણ વય વૃધ્ધ’ વાંચેલું. તેમાં ભાવ એવો હતો કે મને વૃધ્ધાવસ્થાનો વિષાદ નથી પણ વૃધ્ધાવસ્થાને કારણે આવતી અસહાય અવસ્થાની લાચારીનો વિષાદ છે. જે બાળક આપણી આંગળી ઝાલીને મોટું થયું ચે એ હવે આપણને અવગણે છે એનો વિષાદ છે. આ વાતની પ્રતીતિ કરાવતું ‘બાગબાન’ નામનું એક હિંદી ચિત્ર હમણાં આવી ગયું. જોવા જેવી ફિલ્મ છે. માતાપિતાની યોગ્ય રીતે જાળવણી કરવામાં નિષ્ફળ નીવડતાં સંતાનોનું પ્રમાણ જે રીતે સમાજમાં વધી રહ્યું છે એને નિરૂપવાનો એમાં પ્રયાસ છે. આ ફિલમના આધારે આપણા એક આશાસ્પદ કાર્ટૂનિસ્ટ મહેન્દ્ર શાહનું એક કાર્ટૂન હમણાં જોયું તે પણ ખૂબ વેધક છે. એમાં એક ભાઈ બીજા ભાઈઓને કહે છેઃ ગયે વખતે બાને રાખવાનો મારો વારો જુલાઈમાં મારા ભાગે આવેલો. જુલાઈના ૩૧ દિવસ હતા. એટલે આ વખતે make sure કે મારો વારો ફેબ્રુઆરીમાં આવે ! આમ તો આ કાર્ટૂન કદાચ હસાવવા માટે હશે પણ એમાં રહેલી કરૂણતા બહુ વેધક છે. જો પરિસ્થિતિ આ જાતની હોય તો નર્સિંગ હોમ શું વધારે સારી જગ્યા નથી?
એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે મોટા ભાગના નર્સિંગ હોમ કે Seniro Citizen’s Home વેપારી ધોરણે ચાલતાં હોય છે. ત્યાં કોઈ દિલથી, લાગણીથી અને પોતાના માનીને આપણી સુશ્રુષા અને સેવાચાકરી કરશે એવી ભ્રમજાળમાં ન રહેવું. આમ એક તરફ સંતાનો તરફથી નિરાશા અને બીજી બાજુ નર્સિંગ હોમની ક્રૂર વાસ્તવિકતા, એ બેધારી કરવત વચ્ચે વહેરાવાની પ્રક્રિયામાં ઓછું કષ્ટ થાય એવો ઉપાય કયો?
સૌ પ્રથમ તો નર્સિંગ હોમમાં જતાં પહેલાં ખાસ્સા એવા સમય અગાઉથી ત્યાં જવાની માનસિક તૈયારી કરી રાખવી જરૂરી છે. બીજી અગત્યની વાત છે આધ્યાત્મિક વૃત્તિ પ્રબળ બનાવવાની–જે જયંતિભાઈના લેખમાં એમની બામાં ઠેરઠેર દેખાય છે. આ વૃત્તિ કોઈપણ સંજોગોમાં ટકી રહેવા માટેનું અમોઘ બળ છે. પણ આવી આધ્યાત્મિક વૃત્તિ કાંઈ રાતોરાત નથી આવતી કે માત્ર સંકલ્પ કરવાથી નથી આવતી. તેના માએ તપસ્યા કરવી પડે છે. આખી જિંદગી માત્ર ધાર્મિક હોવું એ આધ્યાત્મિક પ્રબળતા નથી. બાહ્યાચારથી ધાર્મિક ગણાતા ઘણાને આપણે આપત્તિના સમયમાં પડી ભાંગતા જોઈએ છીએ.
(કિશોરભાઈનો આભારઃ
આજે “ચંદરવો” વિભાગમાં, ફિલાડેલ્ફિયાથી છેલ્લા ત્રીસથી પણ વધુ વરસોથી પ્રકાશિત થતા, “ગુર્જરી” સામયિકના સંપાદક, આદરણીય શ્રી કિશોરભાઈ દેસાઈના ચૂંટેલાં સંપાદકીયનો આ છેલ્લો એપિસોડ છે. અનેક જુદાજુદા વિષયો પર એક તંત્રી કે સંપાદક્ને પોતાના આગવા વિચારો રજુ કરવા માટે કેટલી તટસ્થતા અને વિવેકદ્રષ્ટિ જાળવી પડે છે એનું આ લેખો શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડે છે. આજે, આ આભારની અભિવ્યક્તિ લખતી વખતે, સ્મૃતિશેષ ભાઈશ્રી હરીન્દ્ર દવેની એક વાત યાદ આવી ગઈ. હરીન્દ્રભાઈ એક ઉચ્ચકોટિના સાહિત્યકાર, પત્રકાર, તંત્રી/સંપાદક હતા. એંસીના દાયકામાં, જ્યારે એ ફિલાડેલ્ફિયા આવ્યા હતા ત્યારે એમને એક પ્રોગ્રામમાં મેં પૂછ્યું હતું, “આપને સર્જનાત્મક લખાણ –creative writing- લખવું સરળ લાગે છે કે તંત્રીલેખ કે સંપાદકીય લખવું સરળ લાગે છે?” એમના ૠજુ સ્વરમાં એમણે કહ્યું હતું, “સર્જનાત્મક લખાણ એક સર્જકનું માનસ સંતાન છે અને અંતરની ઊપજ છે. એ ઊપજ ક્યારેક સક્ષમ પણ હોય અને નબળી પણ હોઈ શકે, એ પણ પાછું “સબજેક્ટીવ” છે. એનાથી વિશેષ બીજી કોઈ એરણ પર એક સર્જનને ખરા કે ખોટા ઉતરવાનું નથી હોતું. પણ ૧૦૦૦ શબ્દોનો એક તંત્રીલેખ લખવા માટે ઓછામાં ઓછા એ વિષય પર ૧૦,૦૦૦ શબ્દો વાંચાવાના હોય છે. એ વાંચનમાંથી નવનીત તારવીને એના પર તટસ્થતાથી વિવેકબુધ્ધિપૂર્વક વિચાર કરીને એકેએક શબ્દ લખવો પડે છે જેથી સાંપ્રત કે અન્ય કોઈ વિષય પર એ લેખ સમાજ અને વાચકને વિચારતા કરી શકે.” આદરણીય શ્રી કિશોરભાઈ દેસાઈના, વિવિધ વિષયોના ચૂંટેલાં સંપાદકીય આ એરણ પર સો ટચના સોના સમાન ખરા ઉતરે છે. આ લેખોને અહીં, “દાવડાનુ આંગણું”માં રજૂ કરીને સંપાદક પી.કે. દાવડાએ એક નવી દિશા સહુ વાચકો માટે ઉઘાડી છે. આ લેખોમાંથી વાંચન અને વિવેકબુધ્ધિથી વિભૂષિત તટસ્થ વિચારધારા કેળવવાની સમજ મળે છે. કિશોરભાઈ, આપે આવા મનનીય સંપાદકીય “આંગણાં”માં રજૂ કરવાની અનુમતિ આપી, એ બદલ આપનો હ્રદયપૂર્વક આભાર માનું છું. આશા છે, અમારા વાચકોને પણ આ લેખોમાંથી આનંદ સહિત આગવું કઈંક મળ્યું હોય. “આંગણું”ની સમસ્ત ટીમ વતી હું ભાઈશ્રી કિશોર દેસાઈને અહીં વાચક તરીકે સતત આવતા રહેવાનું અને આપણને ફરી આવો લાભ આપવાનું આમંત્રણ આપું છું. છેલ્લે, આપ સહુ સહ્રદયી વાચકમિત્રોનો અંતઃકરણપૂર્વક ધન્યવાદ. આપની હાજરી વિના “આંગણું” શોભી જ ન શકત. – જયશ્રી વિનુ મરચંટ)