“આજ મારૂં મન માને ના, માને ના”
આજ મારૂં મન માને ના, માને ના
કેમ કરી એને સમજાવું?
આમ ને તેમ ઘણું રિઝાવું
રેઢું મૂકી આગળ શેં જાઉં?
વાત મારી લે કાને ના કાને ના. આજ…
ચાલ, પણે છે કોકિલ-સારસ;
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ,
સમજતું કોઈ બા’ને ના, બા’ને ના. આજ…
ના થઈએ પ્રિય! છેક જ આળા,
છે જગમંડપ કૈંક રસાળા.
-એ તો જપે બસ એક જ માળા:
કેમ મળે તું આને ના, આને ના? આજ મારૂં મન…’
કવિ: ઉમાશંકર જોશી
સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: ગાર્ગી વોરા
આલબમ: સ્વરાભિષેક: 6
મન કેમે કર્યું માનતું નથી એ માટે કવિ ‘માને ના’ શબ્દ બે વાર ઉપયોગમાં લે છે. મનને રેઢું મૂકીને આગળ જવાતું નથી. મનને મનાવવાનાં બ્હાનાં શોધાય છે, પણ એ માનતું નથી. એની તો એક જ રટ છે.
કવિએ ‘માને ના’, ‘કાને ના’, ‘બા’ને ના’, ‘આને ના’ શબ્દો બે વાર ઉપયોગમાં લીધા છે ને એટલે જ આઠ માત્રાના તાલમાં એની સ્વરગૂંથણી કરતાં સ્હેજે મુશ્કેલી નથી પડતી. રાજેન્દ્ર શાહે પણ એક ગીતમાં આવો પ્રયોગ કર્યો છે-
‘મન મેં તારું જાણ્યું ના જાણ્યું ના’.
ગીતમાં બીજા અંતરામાં આવતો ‘જગમંડપ’ શબ્દ ન્હાનાલાલના ‘તુજ શરણું એ મમ પરમ જોમ હરિ ૐ હરિ ૐ હરિ ૐ’ ગીતની યાદ અપાવી ગયો જેમાં એક પંક્તિમાં ‘નભમંડપ’ શબ્દ છે –
‘નભમંડપની દીપમાળા’
મારા શાસ્ત્રીય સંગીતના ગુરૂ ઉસ્તાદ ગુલામ અહેમદ ખાંસાહેબ પાસે રાગ નટ બિહાગની ત્રિતાલમાં બંદિશ શીખેલો-
‘ઝનઝનઝનઝન પાયલ મોરી બાજે
જાગે મોરી સાસ નનદિયાં ઔર દેરનિયા હાં જેઠનિયા’
ક્ષેમુભાઈના એક ગીતની પ્રથમ પંક્તિ પણ નટ બિહાગમાં ખેમટા તાલમાં છે-
‘સ્હેજ ઊભી’તી તરૂવરની છાંયમાં
ને બાઈ હું તો લીલીછમ લીલીછમ થઇ’
આમ પણ છાયાનટ મારો પ્રિય રાગ છે ને એમાં બિહાગનું મિશ્રણ થાય ને પાછું આ ગમતા કવિના ગમતા શબ્દો મળે! વાદ્યસંગતમાં બાંસુરી ને સરોદ છે. મન અને હૃદયની આ ગુફતેગુ ગમશે.
ઓડિયો વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક પર ક્લીક કરોઃ
https://www.youtube.com/watch?v=d2N3Hqc-Yew
Attachments area
Preview YouTube video આજ મારું મન માને ના માને ના || Gargi Vora || Ramkatha || Morari Bapu
આજ મારું મન માને ના માને ના || Gargi Vora || Ramkatha || Morari Bapu
“આજ મારૂં મન માને ના, માને ના” –મા અમર ભટ્ અને સુ શ્રી ગાર્ગીના સ્વરમા માણવાની મઝા આવી
LikeLike