II ॐ तत्सत् II
II श्री गणेशाय नमः II
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા પ્રારંભ
પ્રથમ સ્કંધ – પહેલો અધ્યાય
નૈમિષીયોપાખ્યાન – શ્રી સૂતજીને શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન
પ્રાર્થના
જન્માદ્યસ્ય યતોડન્વયાદિતરત-
શ્વાર્થેષ્વભિજ્ઞઃ સ્વરાટ્
તેને બ્રહ્મ હ્રદા ય આદિકવયે
મુહ્યન્તિ યત્સૂરયઃ I
તેજો વારિમૃદાં યથા વિનિમયો
યત્ર ત્રિસર્ગોડમૃષા
ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં
સત્યં પરમ્ ધીમહિ II ૧ II
અર્થાત્ઃ જેના થકી આ જગતનું સર્જન, પાલન અને સંહાર થાય છે, કારણ-કાર્યરૂપે બધા જે પદાર્થોમાં અનુગત છે, અને પૃથક પણ છે, તે સર્વજ્ઞ છે. તે સ્વયં પ્રકાશ છે. તેણે જ પોતાની સંકલ્પ શક્તિથી આદિકવિ બ્રહ્માને વેદજ્ઞાન આપ્યું છે. જેનું જ્ઞાન જોઈને મોટા મોટા વિદ્વાનો પણ મોહ પામે છે, જેના તેજોમય સૂર્યના કિરણોમાં જળનો અને જળમાં સ્થળનો અને સ્થળમાં જળનો ભ્રમ થાય છે તેવી જ રીતે જેમાં આ ત્રિગુણમયી સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ અધિષ્ઠાન સત્તાથી સત્ય ભાસી રહી છે અને જે પોતાના જ પ્રકાશથી માયા, મોહથી અને તેના કર્મોમાં લપેટાવાથી મુક્ત છે એવા પરમ સત્ય પરમાત્માનું અમે હ્રદયપૂર્વક ધ્યાન ધરીને શ્રીમદ્ ભગવત પુરાણની કથાનો પ્રારંભ કરીએ છીએ.
મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ્ ભાગવત મહાપુરાણની પવિત્ર કથામાં મોક્ષપર્યંત ફળની કામનાથી રહિત પરમધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતઃકરણના સત્પુરુષોએ જાણવા યોગ્ય પરમાત્માના તેજનું નિરૂપણ થયું છે, જે ત્રિવિધ તાપોનો જડમૂળથી નાશ કરે છે. જે સમયે પુણ્યશ્લોકી મનુષ્ય આ કથાના શ્રવણની ઈચ્છા કરે છે તે જ સમયે ઈશ્વર એનાં હ્રદયમાં નિવાસ કરે છે. આથી જ શુકદેવજી રચિત પરમાનંદ રૂપી અમૃતરસ ઝરતી ભાગવત પુરાણની કથાનું વારંવાર પાન કરતા રહેવું જોઈએ.
કથા-પ્રારંભ
એકવાર ભગવાન વિષ્ણુ અને દેવતાઓના પરમ પુણ્યમય ક્ષેત્ર નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ ભગવત્પ્રાપ્તિની ઈચ્છાથી હજાર વર્ષમાં સંપન્ન થનારા એક મહા યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. આ યજ્ઞની ક્રિયા દરમ્યાન એક દિવસ ઋષિઓએ પ્રાતઃકાળે અગ્નિહોત્ર વગેરે નિત્યકર્મોથી પરવારીને સૂતજીનું પૂજન કર્યું અને તેમને પછી ઊંચા આસને બેસાડીને ઘણાં જ આદરપૂર્વક ભગવત જ્ઞાનની સમજણ માટે પ્રશ્નો કર્યા.
ઋષિઓએ કહ્યુંઃ હે નિષ્પાપ સૂતજી, તમે સમસ્ત શાસ્ત્રો, ઈતિહાસ અને પુરાણોના જ્ઞાતા છો અને ધર્મશાસ્ત્રોની તમે સમ્યકપણે વ્યાખ્યા પણ કરી છે. વેદોના શ્રેષ્ઠ જાણકાર ભગવાન બાદરાયણે અને ઈશ્વરના સગુણ-નિર્ગુણ રૂપને જાણનારા અન્ય મુનિઓ જે જ્ઞાન પામ્યા છે તે તમે વાસ્તવિક રૂપે જાણો છો અને એ સહુ મહાનુભાવોની તમારા પર કૃપા પણ રહી છે. તમે બાલસહજ અને સરળ હ્રદયના છો. અમે આપને પ્રાર્થના કરીને પૂછીએ છીએ કે વિશ્વમાં આટલા બધા જ્ઞાનના ભંડારો ભર્યા છે તો એમાંથી કળિયુગમાં સર્વ જીવોના કલ્યાણ માટેનું સહજ સાધન શું છે? આ કળિયુગના પ્રભાવથી ધેરાયેલાં લોકો સાંસારિક કાર્યોમાં જ સતત અનેક પ્રકારની અડચણોથી ઘેરાયેલાં જ રહે છે તો હે સાધો! આપ અમને આ બધાં જ શાસ્ત્રોના સારરૂપી એવું કશુંક તારવીને સંભળાવો.
હે સૂતજી, અમને એ જાણવું છે કે યદુવંશીઓના રક્ષક ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણએ વસુદેવની ધર્મપત્ની, દેવકીની કૂખે શા માટે જન્મ લીધો હતો? અમને એ ખબર છે કે શ્રી હરિનો અવતાર જીવોના કલ્યાણ માટે જ થાય છે તો એમના આ પૃથ્વી પરના આવિર્ભાવનો અન્ય આશય પણ હતો? તમે કૃપા કરીને અમારા માટે શ્રી કૃષ્ણની સંપૂર્ણ કથાનું વર્ણન કરો.
હે સૂતજી, આપ જેવા પરમ વિરક્ત અને શાંત મુનિજનો સદૈવ શ્રી પ્રભુ શરણમાં જ રહે છે અને હરિની પ્રીતિ તમારા પર કાયમ રહે છે. તમારા જેવા મુનિના સત્સંગથી જીવન મૃત્યુના ફેરામાંથી મુક્તિ મળે છે. શ્રી નારાયણની લીલાનું દેવર્ષિ નારદજીએ પણ યશગાન કર્યું છે. અમને એ લીલાઓને વિસ્તારથી કહો.
હે તીવ્ર બુદ્ધિમાન સૂતજી, સર્વસમર્થ પ્રભુ પોતાની યોગમાયાથી સ્વચ્છંદ લીલા કરે છે. તમે અમને એમના અવતારની કથાઓ વિગતવાર કહીને સમજાવો કારણ પુણ્યકીર્તિ ભગવાનની લીલા સાંભળતા અમને કદી પણ તૃપ્તિ થતી નથી. ભગવાન કૃષ્ણ પોતાનું સ્વરૂપ છુપાવીને લોકો સમક્ષ એવી ચેષ્ટાઓ કરતા હતા કે જાણે પોતે એક સામાન્ય માનવી હોય. પણ પછી સમય આવે ત્યારે બળરામજી સાથે અને પોતે એકલા એવી લીલાઓ કરી છે જે સાધારણ મનુષ્યના વશમાં નથી.
હે પરમ વંદનીય સૂતજી, આ કળિયુગને આવેલો જાણીને અમે આ નૈમિષારણ્યમાં લાંબા સમય સુધીના યજ્ઞ અનુષ્ઠાનો સંકલ્પ કર્યો છે અને પૂરી કથા સાંભળવાનો અમને આ નૈમિષારણ્યમાં સંપૂર્ણ અવકાશ છે. આ કળિયુગ પાવનતા અને સત્યનો નાશ કરનારો છે. ઈશ્વરની પરમ કૃપાથી આ ભવસાગરને પેલે પાર જવાની ઈચ્છા રાખનાર અમને સહુને તમે મળી ગયા છો. ધર્મરક્ષક યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પધારી ગયા એ પછી ધર્મે હવે કોનું શરણ લીધું છે એની પણ સમજણ અમને આપો હે મહાજ્ઞાની સૂતજી.
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો નૈમિષીયોપાખ્યાન નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
નોંધઃ
પદ્મપુરાણ પ્રમાણે જોતાં વ્યાસદેવે ચાર વેદના પ્રચાર માટે ચાર બ્રાહ્મણોને પોતાના શિષ્ય બનાવ્યા તેમ,
સૂતજીઃ પુરાણવિદ્યા માટે વ્યાસજીએ રોમહર્ષણને (લોમહર્ષણ) આદિવાસી કે શૂદ્ર જાતિના હતા, એમને શિષ્ય બનાવી આ વિદ્યા ભણાવી. રોમહર્ષણના પુત્ર, ઉગ્રશ્રવા હતા જે પાછળથી સૂતજી કહેવાયા, રોમહર્ષણે ઉગ્રશ્રવાને કહ્યું કે મેં આ વિદ્યા વેદવ્યાસજી પાસેથી સાંભળી છે તો હવે મેં તમને આ આપી છે તો તમે એને વિસ્તારથી કથા રૂપે ૠષિઓને જઈને કહો. સૂતજી ભાગવત પુરાણ કથા એના પછી નૈમિષારણ્યમાં જઈને ઋષિઓને અને મુનિઓને કહે છે.
નૈમિષારણ્યઃ નૈમિષારણ્ય હાલના ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને કાનપુરથી બાલામાઉ ટ્રેનમાં જવાય છે. બાલામાઉથી નૈમિષારણ્યમાં જવાય છે. એવી લોકકથા છે કે ત્યાં વસતા રાક્ષસોનો શ્રી હરિએ નિમિષમાત્રમાં એટલે કે પલક ઝપકતાં જ વિનાશ કર્યો હતો આથી એ વનનું નામ નૈમિષારાણ્ય કહેવાયું.
વિચાર-બીજઃ
૧. સૂતજીને બ્રાહ્મણ ન હોવા છતાંય એમના શાસ્ત્રોના અદભૂત જ્ઞાનને કારણે, ભાગવત પુરાણ કથાનો પ્રસાર કરવા માટે વ્યાસદેવે પસંદ કરેલા. એનો અર્થ એ કે ઊંચ-નીચના ભેદ તે સમયે ન હતા. આ ભેદ સમાજમાં ન થાય એ માટે જ ભાગવત કથાને સામાજિક સ્તરે ગોઠવવામાં આવે છે. આપણે આજના સમાજમાં આ ઊંચી જાતિ ને નીચી જાતિના ભેદભાવોને નાબૂદ કરવા જ પડશે અને તો જ સમાજમાં દરેક સ્તરે સંવાદિતા જળવાશે.
After a long time I can open “Davda nu Angnu”. I am very happy to read beginning of Shrimad Bhagavavat katha. Fulvati Shah.
LikeLiked by 1 person
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા પ્રારંભ-પ્રથમ સ્કંધ – પહેલો અધ્યાય- માણવાનો આનંદ.જો આ કથા તેમના સ્વરમા યુ ટ્યુબ પર માણવાની આવે તો વધુ આનંદ થાય
કથાબાદ વિચાર-બીજઃ ચિંતન મનન કરી સમાજમા પ્રસારણ થાય તો ઘણા મોટા પ્રશ્નો ઉકેલાય
‘ આ ભેદ સમાજમાં ન થાય એ માટે જ ભાગવત કથાને સામાજિક સ્તરે ગોઠવવામાં આવે છે. આપણે આજના સમાજમાં આ ઊંચી જાતિ ને નીચી જાતિના ભેદભાવોને નાબૂદ કરવા જ પડશે અને તો જ સમાજમાં દરેક સ્તરે સંવાદિતા જળવાશે.’
પ્રેરણાદાયી સુચન
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
LikeLiked by 1 person
BHAGWAT KATHA .SMT JAYSHREE BEN ARTH SATHE SAMCHVI CHE. VACHTA LAGYU KE KOI REALLY KATHA KAHI RAHHUY CHE, BEN ARTH SATHE SAM CHVI CHE TO MARA JEVA SANSKRUT NA (NO SANSKRIT KNOWEDLGE) JANNARA MATE SARAS VACHVANO ANAND THAYO. ABHINANDAN.
LikeLiked by 1 person