***** ૨ ****
સેપ્ટના એ એક પછી એક પસાર થતા વર્ષ એમની દોસ્તી માટે એક વધુને વધુ સોપાન બનતા ચાલ્યા. શ્રેયાના દરેક પેન્ટિંગ એક્સિબિશન સમયે આખાય ગ્રુપનો કોન્ટેમ્પરી આર્ટ ગેલેરીની બહાર અડ્ડો હોય જ. એક્સિબિશનના એ ત્રણે દિવસ દરમ્યાન અનેક આર્કિટેક્ટ, ઇન્ટિરિઅર ડિઝાઇનર અને એથી વધીને શહેરના નામાંકિત આર્ટિસ્ટ , કલાગુરૂને મળવાનો એ સોનેરી અવસર કોણ ગુમાવે?
આ વખતે શ્રેયાનુ એ પેન્ટિંગ એક્સિબિશન જરા અનોખુ હતું. સુર્યના ઉદ્દ્ગમથી લઈને સુર્યના અસ્ત અને અંધકારના ઓળા લઈને ઉતરતી અમાસની રાત્રી અને પૂનમના અજવાસને લઈને માનવ જીવનના તબક્કાને એણે વણી લીધા હતા. એક્સિબિશનનુ ઇનોગ્રેશન શહેરના જાણીતા ઇન્ટિરિઅર ડિઝાઇનર અને માનીતા આર્ટિસ્ટ પ્રેમ રાવળના હસ્તે હતુ. દિપ પાગ્ટ્ય બાદ શ્રેયાના પેન્ટિંગ અંગે પ્રેમ રાવળ કંઇ કહે તે પહેલા જ સંદિપે હાથમાં માઇક લઈને શ્રેયાનો પરિચય જે રીતે હાજર મહેમાનોને કરાવ્યો એ સાવ અણધાર્યો અને અકલ્પ્ય હતો પણ સંદિપ શ્રેયા માટે જે કઈં બોલતો હતો તેની સૌને જ નહી પણ શ્રેયાને પણ એટલી જ તાજુબી થતી હતી. સંદિપે શ્રેયાને જે રીતે ઓળખી હતી એ શ્રેયા તો પોતાના માટે પણ અજાણ હતી.
બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં રહેલા નયનભાઇ અને વિવેકભાઇને તો આમાં જાણે કોઇ એક નવો સંબંધ આકાર લેતો હોય એવી ભૂમિકા તૈયાર થતી લાગી. જો શ્રેયા અને સંદિપની મરજી હોય તો બંને પરિવાર વચ્ચે એ ઔપચારિક સંબંધથી આગળ વધીને અંગત સંબંધમાં જોડાવાની બેઉના પિતાની સમજુતીને શ્રેયા અને સંદિપની મરજીની મહોર લાગવી જરૂરી હતી. આ વાત શ્રેયા અને સંદિપ બંને માટે અણધારી હતી. ક્યારેય મનમાં પણ આવો વિચાર સુધ્ધાં આવ્યો નહોતો.
“કેમ કેવળ દોસ્તી ન હોઈ શકે?” શ્રેયાએ પિતા સાથે દલીલ શરૂ કરી.
“હોઈ શકે ને! પણ જો દોસ્તી તમને બંનેને કાયમ માટે એક કરી દેતી હોય તો એમાં ખોટું પણ શું છે?”
વિવેકભાઈએ દિકરીને સમજવવાનો પ્રયત્ન કર્યો. “કોઈ પણ છોકરીને આટલું સમજી શકતો હોય એવો પતિ મળે તો ખરેખર એ એના માટે સદનસીબ ના કહેવાય? બિઝનેસમાં પણ સાથે કામ કરવુ હોય તો બે પાર્ટનર વચ્ચે એક મત કે સમજૂતી હોય તો જ તે આગળ ચાલે છે તો આ તો જીવનની પાર્ટનરશિપ કહેવાય એમાં તમારી વચ્ચે જે હાર્મની છે તે તને બીજા કોઈમાં મળશે જ એવી તને કોઇ ખાતરી છે?”
શ્રેયા પાસે આ દલીલનો કોઈ જવાબ નહોતો. પિતાની વાત તાર્કીક રીતે સાવ સાચી હતી પણ જીવનના ચણતરને તર્કના પાયાની બુનિયાદ પર થોડું બંધાય છે? મન જેને સ્વીકારે એ માણીગર. સંદિપ સાથે દોસ્તી હતી પણ દિલથી ક્યારેય એને સંદિપ માટે કોઇ એવો ભાવ જાગ્યો નહોતો કે નહોતો પિતાએ મૂકેલી પ્રસ્તાવના પર એણે પહેલા ક્યારેય વિચાર સુધ્ધાં કર્યો હોય. અને ખાતરી હતી કે સંદિપે પણ કયારેય આ રીતે શ્રેયા માટે વિચાર્યુ નહી જ હોય.
“મારો કોઇ તને આગ્રહ નથી, તારા મનમાં જો કોઈ બીજી વ્યક્તિ હોય તો મને તે મંજૂર છે.” વિવેકભાઈએ શ્રેયાને કહ્યું. વિવેકભાઈને પોતાની વાતને શ્રેયા મંજૂર રાખે એવી દિલથી ઇચ્છા તો હતી જ પણ પોતાની મરજી શ્રેયા પર થોપવી પણ નહોતી .જો શ્રેયાની પોતાની કોઇ પસંદગી હોય તો તેની સામે એને વાંધો ય નહોતો.
“તું આજે ને આજે જ મને કોઇ જવાબ આપે એવુ હું નથી કહેતો. તારે વિચારવા માટે જેટલો સમય જોઈતો હોય એટલો સમય લેજે જ. જોઈએ તો તું અને સંદિપ સાથે મળીને ખુલ્લા મનથી ચર્ચા કરી લો. નયન આજે સંદિપ સાથે વાત કરવાનો છે એટલે એ શું વિચારે છે એની ય ખબર તો પડશેને? પણ એક વાત છે કે જ્યારે મારી વાતમાં તારી સંમતિ હશે ત્યારેજ વાત આગળ વધશે એટલો વિશ્વાસ રાખજે.”
શ્રેયા સમજતી હતી, દરેક મા-બાપ દિકરીની ઉંમર થાય ત્યારથી એના ભવિષ્ય અંગે વિચારવાના જ છે. આ પહેલા પણ ક્યારેક વિવેક શ્રેયાને કહેતો, “જે દિવસે તને કોઇ છોકરો પસંદ પડે ત્યારે સીધી મારી પાસે જ આવજે. એક બાપ નહીં, પણ તારો મિત્ર બનીને રહીશ.” પણ આજ સુધી શ્રેયાને કોઈના માટે એવી લાગણી થઈ નહોતી, સંદિપ માટે પણ નહીં.
***
“જોઈશ, વિચારીશ.” નયનભાઈએ જ્યારે સંદિપ સાથે શ્રેયા બાબતે વાત કરી ત્યારે સંદિપે માત્ર એટલો જ જવાબ આપ્યો. પણ એનુ મન એક વાર તો વિચારતુ થઈ ગયું. ‘ઓહ! વાત સાવ સરળ છે અને સાચી જ છે ને? જીવનમાં સાવ અજાણી વ્યક્તિ સાથે ગોઠવાવું, તેના કરતાં જેને આટલા સમયથી જાણતા હોઈએ તેના માટે વિચારવુ, એમાં કઈં ખોટુ નથી. પ્રેમ કરીને જ પરણાય? પરણીને પણ પ્રેમ તો થાય જ ને?’ એણે શ્રેયાને નવેસરથી પોતાની સાથે જોવાનો પ્રયત્ન કર્યો. પોતાની જીવનસંગીની માટે ક્યારેક વિચારત તો એણે શું ઈચ્છ્યું હોત? આમ જોવા જાવ તો એ બધુ જ શ્રેયામાં પણ છે જ ને? બસ, ખાલી એણે એ નજરે ક્યારેય શ્રેયાને જોવા પ્રયત્ન કર્યો નહોતો એટલું જ ને?
સંદિપ દરેક વાત સાવ સરળતાથી લઈ શકતો. વિચારવાના દરેક મુદ્દા પર વિચારી પણ લીધું. વિચારવાની અને દલીલો કરવાની એની પ્રકૃતિ તો હતી જ. પણ શ્રેયાનુ શું? એણે શું વિચાર્યુ હશે? જે રીતે એ શ્રેયાને ઓળખતો હતો એને ખાતરી હતી કે શ્રેયા આજે કેટલી અપ-સેટ હશે? એને એ પણ ખબર હતી કે શ્રેયાએ કોઇ જવાબ આપવાનો ટાળ્યો હશે અને એના રૂમમાં એ બંધ બારણે પોતાની મનની મૂંઝવણ જેવા આડા-અવળા રંગોના લસરકા કેનવાસ પર મારતી હશે! કોઈ સ્પષ્ટતા મનની નહીં થાય ત્યાં સુધી એબ્સર્ડ પેન્ટિંગની જેમ એક અજાણી આકૃતિ એના કેનવાસ પર ઉપસતી હશે!
પેન્ટિંગ એક્સિબિશનના બીજા દિવસે સંદિપ જાણીને કોન્ટેમ્પરી આર્ટ ગેલેરી પર ના ગયો. એની હાજરીથી શ્રેયાને કેવી ગડમથલ થશે એની એને ખબર હતી અને શ્રેયાને મૂંઝવવા નહોતો માંગતો. એના એ મહત્વના દિવસોમાં બીજાની હાજરીમાં પોતાની હાજરીથી અકળાવવા નહોતો માંગતો. એ ખરેખર શ્રેયાને ખૂબ સારી રીતે જાણતો હતો કદાચ એક્ઝિબિશનના પ્રથમ દિવસે જે રીતે એણે શ્રેયાની ઓળખ આપી હતી તેટલી હદે એને ઓળખતો હતો.
શ્રેયાને પણ સંદિપની ગેરહાજરીથી આજે ઘણી મોકળાશ લાગી. મનથી એ ઈચ્છતી હતી કે સંદિપનો આજે સામનો ન થાય તો બહેતર. પણ થોડી થોડી વારે નજર તો બહારના રસ્તા પર ટકરાઈને પાછી ફરતી જ હતી. દિકરીની એ એક અવ્યક્ત આતુરતા નજરમાં છલકાતી હતી એની નોંધ વિવેક અને આરતીએ મનોમન લીધી અને એકમેક ની સાથે નજરથી એ નોંધની આપ-લે પણ થઈ.
બીજા જ દિવસની સવારે સંદિપે કલ્પ્યું હતુ તેમ શ્રેયાનો ફોન રણક્યો.
‘ સંદિપ નું મન એક વાર તો વિચારતુ થઈ ગયું. ‘પ્રેમ કરીને જ પરણાય? પરણીને પણ પ્રેમ તો થાય જ ને?’
વાંચતા મનમા શ્યામલ મુનશીના સ્વરમા તુષારની રચનાનું ગુંજન થાય,
દરિયાના મોજાં કંઈ રેતીને પૂછે
તને ભીંજાવું ગમશે કે કેમ
એમ પૂછીને થાય નહીં પ્રેમ
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી
એકનો પર્યાય થાય બીજું
આંખોનો આવકારો વાંચી લેવાનો
ભલે હોઠોથી બોલે કે ખીજું?
ચાહે તે નામ તેને દઈ દો તમે રે
ભાઈ અંતે તો હેમનું હેમ
એમ પૂછીને થાય નહીં પ્રેમ
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી
કાયમના રહેશો પ્રવાસી
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું
સરનામું સામી અગાશી
મનગમતો મોગરો મળશે વટાવશો
વાંધાની વાડ જેમ જેમ
એમ પૂછીને થાય નહીં પ્રેમ
પણ મા-બાપએ નજરથી એ નોંધની આપ-લે…
ત્યારે છિન્ન – ૨નો અંત
‘સંદિપે કલ્પ્યું હતુ તેમ શ્રેયાનો ફોન રણક્યો.’
અને અમારે ૩ની રાહ…
LikeLiked by 1 person
રાજુલબહેન મને ચિત્રલેખામાં ધારાવાહિક રૂપે આવતી હરકિશનભાઈની નવલકથાની યાદ આવી ગઈ. આવતો અંક ક્યારે આવશે એની આતુરતાપુર્વક રાહ જોવાય અને ચિત્રલેખા આવે એટલે પહેલા કોણ વાંચે એની પડાપડી થાય, એમ તમારી”છિન્ન” નવલકથાનુ આગલું પ્રકરણ વાંચવાની તીવ્ર ઉત્કંઠા છે.
LikeLiked by 2 people