“થઈ થઈને બીજું થાશે શું?”
ઉત્કર્ષ મજમુદાર એ ગુજરાતીઓનું એક ગૌરવવંતુ નામ છે. એમના સાહિત્ય, સંગીત અને નાટ્યકલાના જગતમાં કરેલા પ્રદાનને આવનારી પેઢીઓ કાયમ યાદ રાખશે.
એમની પાસેથી શીખેલી એક વાત આજે અહીં કરવી છે. આ કિસ્સો મારા ધ્યાનમાં આજ સુધી અકબંધ છે. તે સમયે મારી અને ઉત્કર્ષભાઈની નવી ઓળખાણ થઈ હતી. ઉત્કર્ષભાઈ સ્વભાવે ખૂબ પ્રેમાળ અને એમના સંપર્કમાં આવનારા નાના-મોટા અને નવા-જૂના સૌની કાળજી અને સંભાળ લેનારા વ્યક્તિ છે. આ વાતને તો હવે વર્ષો વિતી ગયા પણ મને એ કિસ્સો આજે પણ યથાવત યાદ છે. તે સમયે મારી એક મુંબઈમાં રહેતી મિત્ર પાસે મેં ચાર-પાંચ સાડીઓ બનાવડાવી હતી. એમાંની એક સાડી મારે અહીં અમેરિકામાં લગ્ન પ્રસંગે પહેરવા માટે તાત્કાલિક જોઈતી હતી. કોઈ કારણોસર, એ સાડી સમયસર તૈયાર ન થઈ શકી એટલે મેઈલ કે ફેડેક્સથી મોકલે તો અહીં વખતસર પહોંચવાની શક્યતા જ નહોતી. ઉત્કર્ષભાઈ સાથે એ જ સમયગાળામાં ઓચિંતી ફોન પર વાતચીત થઈ. વાતવાતમાં એમણે જણાવ્યું કે એક નાટકનો પ્રયોગ લઈને એ અમેરિકા આવવાના છે. મને બહુ ઈચ્છા થઈ કે હું એમને પૂછું કે તમારી પાસે બેગમાં જો જગા હોય તો મારી સાડી સાથે લઈ આવશો, પણ એમની પ્રતિષ્ઠા અને સામાજીક હોદ્દાને લીધે મને પૂછતાં સંકોચ થયો. હું આમ અવઢવમાં જ હતી કે એમણે સહજ વાત કરતા હોય એમ પૂછ્યું, કે, “તને અહીંથી કશું જોઈએ છે?” મેં બહુ વિચારીને ધીમા અવાજે કહ્યું કે, “આપની પાસે જો જગા હોય તો મારી એક સાડી લાવી શકશો? મને અહીં લગ્નમાં પહેરવા જોઈએ છે અને સાડી વખતસર તૈયાર ન થઈ એટલે ફેડેક્સમાં મોકલે તો અહીં મળી શકે તેમ નથી. પણ તમને અનુકૂળ હોય તો જ… હં..! તમારા ઘર સુધી હું સાડી પહોંચાડવાની વ્યવસ્થા કરીશ.” એમણે તરત જ હા પાડી, અને કહ્યું, “આમાં આટલું બધું મૂંઝાવાનું કે વિચારવાનું શું? ખુશીથી લઈ આવીશ.” મેં મારા ભાણેજને કહીને સાડી એમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરી.
મારી મિત્રએ મને જે જોઈતી હતી એ સાડી ઉત્કર્ષભાઈને લઈ આવવાનું સરળ પડે એટલે એક અલગ પેકેટ કરીને આપ્યું અને સાથે મારા ભાણેજને બીજી ચાર સાડીઓનું પેકેટ મારા પિયર લઈ જવા માટે આપ્યું. મારો ભાણિયો જ્યારે એમના ઘરે ગયો ત્યારે એની પાસે બીજું પેકેટ પણ હતું. એમણે સહજતાથી પૂછ્યું, કે, “આ બીજું પાર્સલ કોનું છે?” જ્યારે એમને ખબર પડી કે એ પણ મારા માટે છે અને એમાં બીજી ચાર સાડીઓ છે તો એમણે મારા ભાણેજને કહ્યું, “આ પાંચેય સાડીઓ હું લઈ જઈશ. જાગૃતિ સાથે આજે સાંજે ફોન પર વાત કરી લઈશ.” તે દિવસે સાંજે એમનો ફોન આવ્યો અને એમણે એમની આગવી અદામાં, થોડા તીખા અવાજે કહ્યું, ત્યારે મારી તો બોલતી જ બંધ થઈ ગઈ. એમણે મને કહ્યું, કે, “તેં બાકીની સાડીઓ વિષે કેમ મને ન પૂછ્યું?” મેં થોડા સંકોચથી કહ્યું, “વધારે વજન થઈ જાય અને કદાચ તમને તકલીફ પદે તો તમે ના પાડી દો તો મને ક્ષોભ થાય!” ત્યારે એમણે સાવ બાળસુલભ સરળતાથી મને કહ્યું, “થઈ થઈને થાત શું બીજું? ન અનુકૂળ હોત તો ના પાડત. ના સાંભળવાનો આટલો ડર કેમ લાગ્યો, અને એ પણ મિત્ર પાસેથી? ના કહેશે એ ડરે પૂછવાનું નહીં?” અને વાત પૂરી થઈ.
એમણે જે કહ્યું તેને લીધે હું વિચારતી થઈ અને સમજતી થઈ કે આપણે ના સાંભળવાના ડરે માંગતાં નથી કે કશી ફેવર માટે પૂછતાં નથી. સાચી વાત તો એ છે કે નસીબ, મિત્રો, સ્વજનો કે તક પાસે કોઈ ફોર્માલીટી ન હોય. બહુ બહુ તો શું થાય, ના પાડી દેશે! રસ્તા પર ભિખારી હોય કે પછી પ્રભુ સામે મંદિરમાં આપણે હોઇએ, લાજશરમ મૂકીને માંગતાં જ હોઈએ છીએ ને? આથી એ અહંકાર પણ ખોટો છે એની જગા પર કે ના પાડી દેશે એથી આપણા ઈગોને ઠેસ ન પહોંચે એટલે માંગવું કે પૂછવું નહીં! કોઈ વાર, કોઈ સ્પષ્ટ બોલીને ‘ના’ પાડે તો કોઈ મૌનમાં ‘ના’ પાડે, પણ, એથી કરીને પોતાના મિત્રો અને સ્વજનો પાસે કશું માંગવામાં કે પૂછવામાં અચકાટ ન હોવો જોઈએ. જીવન તો સ્વજનો, મિત્રો અને સમાજમાં એકમેક સાથેના સંબંધો અને લેણદેણ પર નિર્ભર હોય છે અને આ જ જીવનની સચ્ચાઈ છે.
તે દિવસે હું એક વાત શીખી કે કોઈ મિત્ર કે સ્વજન, આપણું કામ તરત કરવા તૈયાર થઈને ‘હા’ પાડે એમાં એ વ્યક્તિની મોટાઈ છે અને આપણે એનો સ્વીકાર કરીને, હ્રદયથી આભાર માનવો જોઈએ. પણ, જો ‘ના’ પાડે ત્યારે સદંતર રીતે ઓનર્સ ઈઝ ઓન અસ કે ખરાબ લગાડ્યા વિના આપણે સાચા અર્થમાં લઈએ કે એમને પણ કઈંક અગવડ હશે. કદાચ આ જ છે Social Symbiosis – સામાજીક રીતે પરસ્પર અવલંબિત સહજીવન. અહીં એક નાની વાત પણ યાદ રાખવાની છે કે, ‘હા’ કે ‘ના’ બોલાયેલા શબ્દોની સચ્ચાઈ કે ઈમાનદારી આપણે અંતરમનમાં કોઈ પણ પૂર્વગ્રહ વિના અનુભવવાની છે. જો એ ‘ના’ કે ‘હા’ માં અચકાટ કે તકલીફ અનુભવાય તો એ પરિસ્થિતિમાંથી કોઈ પૂર્વગ્રહથી પીડિત ન થતાં સાંગોપાંગ ‘સો માંથી સોંસરવા’ બહાર નીકળી જવાનું હોય છે, નેગેટિવીટીને ખંખેરી નાંખીને.
ખરેખર, સાચા મિત્રો કે સ્વજનો પાસે કશું માંગીશું કે ફેવર માટે પૂછીશું તો કાં તો હા પાડશે અથવા તો ના પાડશે! એના સિવાય થઈ થઈને બીજું થાશે શું?
અસ્તુ!
થોડી ખાટી, થોડી મીઠીમા સુ શ્રી જાગૃતિ દેસાઈ-શાહ નો પહેલો મણકો “થઈ થઈને બીજું થાશે શું?” ની વાત ‘સાચા મિત્રો કે સ્વજનો પાસે કશું માંગીશું કે ફેવર માટે પૂછીશું તો કાં તો હા પાડશે અથવા તો ના પાડશે! એના સિવાય થઈ થઈને બીજું થાશે શું? ‘ પ્રેરણાદાયી
સામાન્ય અનુભવમા મિત્રતા મા એમની દરેક વાત કોઈપણ અચકાટ વગર કહી શકે અને તમારા થી એ ફ્રી અનુભવ કરી શકે આવું કરવાથી તમારા સંબંધ માં ફરી થી મીઠાશ ભરાઈ જશે.મિત્રો આગળ જરૂર પડે હૃદય ખોલવામાં હૃદયચક્ર ઓછું બગડશે ને બગડેલું હશે તો સુધરશે.
LikeLiked by 3 people
બને હાથથી સલામ
LikeLiked by 3 people
વાહ !
એક નાનકડી અમથી વાતમાંથી જીવનમાં જરૂરી કેટલી મોટી સમજવાની વાત ?
LikeLiked by 3 people
Thank you Jayshree Aunty for the inputs and corrections.
LikeLiked by 1 person
na – no. already shri MR. PARESH VYAS WRITE NICE LEKH ON ‘NIRAV RAVE” ON MARCH 31ST2020. THEY ALSO SAID NO MEANING IS CHANGE AT PRESENT TIME, WE SHOULD ACCEPT THIS. ALSO HE TAKE NOTE FOR BIG BUSINESS, WHO ALL ARE SUCCEED MOST OF SAY ‘NO’ EVEN GIVEN EXAMPLE FOR MR . WARREN BUFFET. MUST READ THIS ARTICLE ON MARCH 31ST20 FROM ‘NIRAV RAVE.’ NEVER ASK FOR ANY THING TO ANY BODY, ACCPET ‘NO’ ONLY IF.
LikeLiked by 2 people
આપણે કોઈને કંઇ કામ સોંપીએ, કે કોઈને આમંત્રણ આપીએ કે સાથે આવવાનું કહીએ અને ના પાડવી હોય તો સામેવાળા ના પાડે, આપણે આપણી પોતાની મેળે કંઈ નહીં માની લેવાનું કે, હા કહેશે કે ના કહેશે….જીવનમાં ડગલે ને પગલે કામ આવે તેવો એક બહુ સુંદર સંદેશો આપતી વાર્તા… બહુ સરસ..
LikeLike