કેફિયત – પાર્ટ ૪ અને છેલ્લો
આ જ સમયગાળામાં, વિનુના સતત પ્રોત્સાહનથી મેં ટેમ્પલ યુનિવર્સીટીમાં એમ.એસ./એમ.બી.એ. ઇન ક્લીનીકલ લેબોરેટરી સાયન્સ એન્ડ હેલ્થકેર એડમિનીસ્ટ્રેશનમાં એડમીશન લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. હું ટેમ્પલ યુનિવર્સીટી હોસ્પિટલમાં ક્લીનીકલ લેબોરેટરીમાં ટેક્નોલોજીસ્ટનું કામ કરતી હતી. આ વાત ડિસેમ્બર ૧૯૮૩ની છે. અમને યુ.એસ. આવ્યાને પાંચ વરસ થઈ ચૂક્યા હતા. $૩.૬૧ / કલાકના લેબોરેટરી આસિસ્ટન્ટટ તરીકેનો જોબ લઈ આ દેશમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને પાંચ વરસમાં ધીમે ધીમે મારી પ્રગતિ પણ થઈ રહી હતી. વિનુએ આ દરમિયાન ફરીથી કામ પર જવાનું ચાલુ તો કર્યું હતું પરંતુ, એમને ત્રણ શસ્ત્રક્રિયાઓ કરાવ્યા પછી કરોડરજ્જુમાં, પગમાં અને પીઠમાં સતત દુખાવો રહેતો હતો. મને સતત ચિંતા રહેતી હતી કે આટલા નાના સંતાનો અને વિનુની માંદગી (વિનુ એક્સીડન્ટ પછી હજુએ પૂર્ણ રીતે સાજા થયા ન હતાં) અને અન્ય જવાબદારીઓ સાથે ભણતરની જવાબદારી લેવી શું બરાબર હતું? વિનુએ ત્યારે મને કહ્યું હતું, “જો, આપણે અહીં આપણી પ્રગતિ, સંતાનોના ઉજ્વળ ભવિષ્ય અને આખા કુટુંબને આગળ લાવી શકીએ એવા ઈરાદાથી આવ્યા છીએ. મારી જે હમણાં હાલત છે, એના જોતાં બીજા બે-ચાર વરસ તો મને સંપૂર્ણપણે સાજા થવામાં નીકળી જશે. હું કામ તો કરતો જ રહીશ પણ આ દેશમાં જો પ્રોફેશનલી આગળ આવવું હોય તો આપણે બેઉએ અહીંની શાસ્ત્રોક્ત તાલિમ લેવી જ રહી. હું મારી સી.પી.એ. (ભારતના સી.એ. ની બરાબરની અમેરિકાની ડિગ્રી) ના લાયસન્સ માટેની તૈયારી ઘરે વાંચીને કરતો રહીશ, પણ, તારેય તારા ફિલ્ડમાં અહીંનું લાયસન્સ લેવા માટે આગળ ભણવું જ પડશે ને? મુશ્કેલીનો આ સમય પણ ક્યાંય નીકળી જશે.” અને પછી, માથું હલાવીને કહે “There is no choice! હું છું ને?” એ એમના “સિક્કા સ્ટાઈલ”માં બોલી ગયા. હું એટલી ચિંતામાં હતી. મેં કહ્યું, “કેવી રીતે અને કેમ થશે બધું?” એમણે કહ્યું, “બધું જ થઈ જશે. એકવાર તું એડમીશન લઈને પાર્ટ ટાઈમ ભણવાનું ચાલુ તો કર! અત્યારથી પ્લાનીંગમાં જ અટવાઈ ન જા! તું છે, હું છું ને અને ઉપરવાળો છે, બસ!” અને સાચે જ, સાડાસાત વરસોનો એ લાંબો પાર્ટ ટાઈમ ભણવાનો ગાળો, ફુલ ટાઈમ લેબનો જોબ અને ઘર, બાળકો ને કુટુંબની જવાબદારી સાથે કઈ રીતે એક સ્ટ્રેસમાં પસાર થઈ ગયો, એ યાદ આવતાં આજે પણ કંપારી છૂટે છે. જો તે દિવસે, એમનો આગ્રહ ન હોત તો મેં કદી જ એમ.એસ./એમ.બી.એ ની ડીગ્રી માટે એપ્લિકેશન ન કરી હોત! અને જો એવું થયું હોત તો, આજે જે વ્યવસાયિક સફળતા પામી શકી એનું એક જે ફુલફીલમેન્ટ છે, તે ન હોત મારી જિંદગીમાં. હા, કામ તો રીટયરમેન્ટ સુધી કર્યું જ હોત પણ જે આત્મવિશ્વાસ ક્લીનીકલ પેથોલોજીનું લાયસન્સ લીધા પછી આવ્યો, એ કદાચ ન આવત! આ આત્મવિશ્વાસને લીધે જ, મારા માટે કરકીર્દીના અનેક નવા દરવાજા ઉઘડ્યા એ પણ ન ખુલ્યા હોત. બાળકો તો એમના નસીબ અને પોતાની મહેનતથી ભણીને સફળ થઈ પણ જાત જ, પણ એ કપરા સમયે એમને પણ ઘડ્યા, અને બાળકો સમય અને સમજણનો આદર અને કદર કરતાં શીખ્યાં. બાળકોને માટે પણ, અમારી લેઈટ ત્રીસીની ઉમરે અહીંના લાયસન્સ મેળવવા માટેની મહેનત ને તકલીફો એક શીખ બની હતી. મારી દિકરી-દિકરો પાછળથી એ સમય યાદ કરીને કહેતાં, “અમને ત્યારે એટલી સમજ પડી ગઈ હતી કે હાર્ડ વર્ક વિના સક્સેસ પોસિબલ નથી.” ત્યારે મને પહેલી વાર થયું, કે, દરેક ચીજ માટે એક સમય- એક નિર્મિત વખત- હોય છે. સમયની આગળ અને સમયથી પાછળ કઈં જ થતું નથી. સમય આપણને જે કરાવે છે એના પરિણામો પણ એના સમયે જ આવે છે. ઘર, સંતાનો, કુટુંબ, જોબ, ભણતર અને એ સાથે, એમની અને મારી વ્યવસાયિક વહેવારની વ્યસ્તતામાં જિંદગી એની ઝડપથી દોડતી રહી હતી, એટલું જ નહીં, અમને પણ દોડાવતી રહી હતી. આ સાથે જ, ગુજરાતી લિટરલી સોસાયટી ઓફ ધ નોર્થ અમેરિકાની સર્જકો સાથેની “સાઠ દિન”ની સભામાં કે પછી દેશથી આવતાં સાહિત્યકારો સાથેના કાર્યક્રમોમાં કાયમ જ મને પરાણે મોકલવાનો ક્રમ યથાવત રહ્યો હતો. આ સભાઓમાં હું વરસમાં બે કે ત્રણ વાર જઈ શકતી, પણ સાચે જ હું એમાંથી વિષમ સંજોગોમાં ટકી જવાનું બળ મેળવીને આવતી. અનેકવાર મેં એમને પૂછ્યું હતું, ‘તમે કેમ તમારા મિત્રો સાથે એકલા જઈને આમ થોડો બ્રેક નથી લેતાં? મને કઈંક તો તમારા પર્સનલ આનંદ માટે કરવા દો.!” આજે એ વાતને લખતાં આંખની આડે આંસુઓના પડળ બાઝ્યા છે, એમની સાલસતાથી એમણે એમના ‘વન-લાઈનર”માં કહ્યું, “જેસલ, ભાવિન અને તારા વિના મારે બ્રેક લઈને જવું પણ ક્યાં!” મને નહોતી ખબર કે ક્યારેક સાવ જ ઓચિંતા, અમને ત્રણેયને એકલા પાડીને પોતે કાયમનો બ્રેક લઈને આમ જતાં રહેશે! અનેકવાર એવું થતું કે કોઈ મોટી પાર્ટીમાં કોઈ નવા, નોન-ગુજરાતીભાષીઓને મળવાનું થતું, ત્યારે આમ તો સાવ શાંત રહેનારા, વિનુ, પરસ્પર ઓળખાણ કરતા કે કરાવતા હોય ત્યારે કહેતા, “મીટ જયશ્રી, માય વાઈફ. શી રાઈટ્સ પોએટ્રી એન્ડ સ્ટોરીસ ઇન ગુજરાતી!” આમ મારો પરિચય આપતાં, એમના મોઢા પર ઉત્સાહ આવી જતો. વિનુને કદીયે મેં એક પુરુષ તરીકે, કે પતિ તરીકે, ખોટા ઈગો- અભિમાનને આધિન થતાં નથી જોયાં. હું સાચે જ વિચારતી, વિનુને કઈ માટીના ઘડ્યાં હતાં, ઇશ્વરે?
વિનુની જિંદગીની રોજિંદી ઘટમાળમાં પણ અનુશાસન હતું, બિલકુલ મારાથી વિપરીત! મને તો ખાવા-પીવામાં, આનંદ-પ્રમોદમાં કે સામાજિક પ્રસંગોમાં શિસ્ત રાખવાથી એક પ્રકારની ગૂંગળામણ થતી હતી! વિનુ માટે અનુશાસન જીવનમાં વણાઈ ગયેલો નિત્યક્રમ હતો. વિનુને નાનપણથી અસ્થમા હતો અને દવાને બદલે, એમણે પછી ૧૪ વરસની ઉંમરથી મુંબઈમાં, ચર્નીરોડ પર, કૈવલ્યધામ યોગા ઈન્સ્ટીટ્યુટમાં જવાનું ચાલુ કર્યું હતું અને પછી તો સ્વીમીંગની સાથે યોગા પણ એમના નિત્યક્રમનું અવિભાજ્ય અંગ બની ગયા હતા. આ ક્રમ એમના જીવનના છેલ્લા દિવસ સુધી રહ્યો, સિવાય કે વિનુ પોતે બિમાર હોય કે કામ માટે બહારગામ ગયા હોય ત્યારે જ આ ક્રમ તૂટતો! મને આજે થાય છે કે વિનુ સાચે જ એક સંયમિત, નિયમિત, સમતોલિત તથા સંતુલિત જીવન, વ્યવસાયી રીતે, સામાજિક અને કૌટુંબિક દાયરામાં રહીને સદૈવ જીવ્યા હતા. વિનુની ટેક્ષની પોતાની પ્રેક્ટીસ પણ હતી અને સાથે, સી.પી.એ. (ચાર્ટર્ડ એકાઉન્ટટન્ટ) ની કંપનીમાં કામ કરતા હતાં. એમને ૨૦૦૦ એપ્રિલમાં જ્યારે ત્રણ હાર્ટએટેક આવ્યા અને ટ્રીપલ બાયપાસ સર્જરી કરાવવી પડી હતી. ત્યારે સંતાનોના અને મારા અત્યંત આગ્રહ પછી અમે સૌએ એક જ ટાઈમ ઝોનમાં રહેવાનું નક્કી કર્યું. આમ કેલિફોર્નિયા મુવ થવાનો મૂળ આશય તો હતો કે વિનુ નિવૃત થાય. અમે અમારું દેશ છોડ્યા પછીનું વતન, ફિલાડેલ્ફિયા ડિસેમ્બર ૨૦૦૦ માં છોડ્યું અને કેલિફોર્નિયા સંતાનોની નજીક રહેવા આવ્યા. મને યુ.સી.એસે.ફ. હોસ્પિટલ અને પછીથી ચિલ્ડ્રન’સ હોસ્પિટલ ઓકલેન્ડમાં લેબ ડિરેક્ટરની જોબ મળી ગઈ હતી જેથી અમને હેલ્થ ઈન્સ્યોરન્સ માટે કોઈ પ્રોબ્લેમ ન થયો અને અમે સહેલાઈથી સેટલ થઈ શક્યા. વિનુને સંતાનો પર કોઈ પણ પ્રકારનું અવલંબન મંજૂર નહોતું. કેલિફોર્નિયામાં અમે અમારા સંતાનો સાથે એમની જિંદગીના છેલ્લા ચૌદ વરસો અત્યંત આનંદમાં ગાળ્યાં હતાં. એમણે નાના અને દાદા તરીકે દોહિત્રી ઈશાને, દોહિત્ર શીવને અને પૌત્ર આદિત્યને જોયા, અને એમના શૈશવને દિલથી માણ્યા. બધાં જ બાળકોને નાના – દાદા બહુ વ્હાલા હતાં અને વિનુને બાળકો બહુ વ્હાલાં હતાં. અમારો સૌથી નાનો પૌત્ર, નિખિલને એ જોઈ ન શક્યા. વિનુ સાથે વિતાવેલી એ બધી પળો આજે પણ મેં કાળજાની પેટીમાં સાચવીને મૂકી છે. એમના મૃત્યુના આટલા સમયના ગાળા પછી આજે હું આંખો મીંચીને એ બધી જ પળોને જ્યારે પણ વાગોળીને માણું છું ત્યારે એમ થાય છે કે વિનુ મારી સાથે જ છે.
વિનુ અને મેં માત્ર વિષમતાઓ જ નથી સહી પણ ઈશ્વરે અમને આનંદ પણ ખુલ્લે હાથે વહેંચ્યો હતો અને જીવનના અનેક મોડ પર આ મઝા અમે માણી છે. એક ભર્યું ભર્યું જીવન ભરપૂરતાથી જીવ્યા છીએ. એમના ગયા પછી આજે પણ પ્રભુની કૃપાનો આનંદ અંતરમાં સદા રહે છે કે મને મારા જીવનસાથી તરીકે વિનુ મળ્યા. મને મારા પિતાજીએ અમારા લગન સમયે જન્મકુંડળી મેળવાઈ ત્યારે કહ્યું હતું કે “આ છોકરો જયુને સંભાળી લેશે.” વિનુને આ ભવિષ્યવાણીની જાણ નહોતી પણ જીવનના સારા માઠા સહુ સમયે એમણે ચૂપચાપ મારી સંભાળ જ લીધા કરી. આજે મારા જીવન પટળ પર એમની કમીની ધૂળ બાઝી ગઈ છે જેને ધોઈ નાખવા માટે મારી આંખોમાં અખૂટ આંસુ છે પણ એ આંસુ લૂછવા માટેના વિનુના હાથ કે વિનુનો રૂમાલ નથી. આ તો છે વિનુ સાથે ગાળેલા ૪૨ વરસોનો કમાલ! એમણે મને અંતરની શાંતિ સાથે ઓળખ કરાવી, સંતોષ સાથે પરિચય કરાવ્યો, હા, એ વાત જુદી છે કે આ પરિચય સાથે ઘરોબો કેળવતાં, મારી પોતાની પરિપક્વ થવાની પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે ઘણી વાર લાગી.
અમારી લાઈફની ફિલોસોફીમાં મતભેદ હતાં પણ કોઈક એવું તત્વ જરૂર હતું કે જે અમને બાંધી રાખતું હતું. અમને બેઉને થતું કે અનેક વસમી પરિસ્થિતિ તથા પ્રતિકુળ સંજોગો સાથે એકમેકથી સદંતર અલગ પ્રકૃતિ અને શોખ સાથે અમારું સાયુજ્ય ટકી કેવી રીતે ગયું? અમે ક્યારેક જિંદગીના આ સાયંકાળે, એકલા બેસીને વિચારતા ને આ પ્રશ્નનો જવાબ ન મળતાં હસી પણ પડતાં. ૩ ડિસેમ્બર, ૨૦૧૪ ને રોજ, એમની આંખના મોતિયાની સર્જરી હતી. હું એમની સાથે પ્રી-ઓપ રુમમાં હતી. ત્યારે ઓચિંતા જ એમણે મને કહ્યું કે “મને ખબર છે કે આપણી વચ્ચે એવું શું છે જે આપણા સાથને ટકાવી રાખે છે. આપણે એકમેકની શક્તિઓના- સ્ટ્રેન્થના- નહીં પણ એકમેકની નબળાઈઓના પૂરક છીએ. એટલે જ આપણે આ બધાં જ સંજોગો સામે ટકી શક્યાં!” મેં પૂછ્યું, “આવો વિચાર ક્યાંથી આવ્યો?” એમને કહ્યું, “બસ, આવ્યો અને તને કહી દીધો!” અને, વાત ત્યાં પૂરી થઈ ગઈ.
વિનુ, ૮ મી ડિસેમ્બર ૨૦૧૪ની એ ભીષણ સાંજ પછી, રોજ એકલી બેસીને બસ, આ જ વિચારું છું, કે તમે સાચું કહ્યું હતું કે આપણે એકમેકની ક્ષતિઓના પૂરક હતાં. પણ મને એટલું કહી દો કે, તમારા ગયા પછી, હવે મારી જાત સાથે અને સાવ ખુલ્લી પડી ગયેલી નબળાઈઓ સાથે, ક્ષતિઓ સાથે, એના પૂરક તત્વ વિના, એટલે કે તમારા વિના મારે એકલી રહીને આ જિંદગી જીવવી કેવી રીતે? તમારા વિના, મને તો મારી કમીઓને જીરવતાં પણ નથી આવડતું, જીવતાં આવડવાની વાત તો બહુ દૂરની છે!
બસ! અસ્તુ!
જયશ્રી વિનુ મરચંટની કેફિયત મા ‘વિનુ અને મેં માત્ર વિષમતાઓ જ નથી સહી પણ ઈશ્વરે અમને આનંદ પણ ખુલ્લે હાથે વહેંચ્યો હતો અને જીવનના અનેક મોડ પર આ મઝા અમે માણી છે. એક ભર્યું ભર્યું જીવન ભરપૂરતાથી જીવ્યા છીએ. એમના ગયા પછી આજે પણ પ્રભુની કૃપાનો આનંદ અંતરમાં સદા રહે છે’ વાત પ્રેરણાદાયક
અમારા જીવનમા પણ આવી વાત અનુભવાય છે પણ ૮ મી ડિસેમ્બર…વાળી વાતની કલ્પનાએ કસક થાય…આ તારીખે અમારી ૬૨મી વૅડીંગ એનીવર્સરી…!
LikeLiked by 1 person
You write it so well in simple manner that it directly touches reader’s heart and feels it. Also the reader feels that we are are talking face to face.
LikeLiked by 1 person
નીખાલસભરી આત્મકથા રૂપી લેખમાળા-કેફિયત વાંચી. બહુ સુંદર રીતે લખાયેલા સસમરણો વાંચ્યા.બહુ સરસ.
LikeLiked by 2 people
આવો જીવનસાથી મળે તો બીજું શું જોઈએ ?
LikeLiked by 1 person
દિલની લાગણીને લખવાથી તેને સમતાથી જીરવવાની દ્રષ્ટિ મળે. તમે સારા સાથીદાર બની રહ્યાં.
સરયૂ પરીખ
LikeLiked by 2 people
Jayhsreeaunty.. very well written
LikeLiked by 1 person