મનની આ અભરાઈ ખૂબ જ ઊંચી ઊંચી ઊંચીજી, અને અમે સંતાડી રાખી કૂંચી કૂંચી કૂંચીજી તોય કઈ ટોળી આવીને લૂટી ગઈ રે લોલ? ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
રસદર્શનઃ દેવિકા ધ્રુવ
ગુજરાતી કાવ્ય-જગતનો એક નવો અવાજ, એક તાજગીભર્યો યુવાન ચમકારો એટલે કવિ શ્રી અનિલ ચાવડા. ૨૦૧૦થી સાહિત્ય અકાદમીના એકથી વધુ એવોર્ડ પ્રાપ્ત કરનારા શ્રી અનિલ ચાવડાનું લોકગીતના લયમાં લખાયેલું આ મસ્ત મઝાનું ગીત “ઈચ્છાઓની ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ” વાંચતાની સાથે જ મન મોહી લે છે. ઉપરઉપરથી રમતિયાળ જણાતા આ ગીતના ભાવો અનેક અર્થછાયાઓ ઊભી કરે છે.
પ્રથમ પંક્તિ જ કાર્યના કારણોથી શરુ થાય છે. ખૂબ જાળવી છે તો યે બરણી ફૂટી ગઈ છે. એવું નથી કે એ બેદરકારીથી છૂટી ગઈ છે ! ભલા, આવું તે કંઈ થાય? ના થાય.પણ તો યે થયું. કારણ કે, આ બરણી કોઈ સામાન્ય બરણી નથી. એ તો છે ઇચ્છાઓની બરણી. વાહ ! શું નવીન કલ્પન છે? ગીતની ધ્રુવ પંક્તિ પણ એ જ છે કે, ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ. આ ઇચ્છાઓની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જ એ જીંદગીના ચિંતન-પ્રદેશે પહોંચાડી દે છે.
પહેલાં અંતરામાં કવિ પૂછે છે કે, કઈ રીતે બરણી ફૂટી ?કેટલી કરચો વેરાઈ ગઈ? એને વીણવામાં જીવન પૂરું થઈ ગયું !
જરા ઉંડાણથી વિચારીશું તો ભાવકના ભાવ વિશ્વ અનુસાર તેમાંથી અનેક અર્થો નિષ્પન્ન થાય છે. માનવીની ઈચ્છાઓના કોઈ ધ્યેય ન હોય,તેને પૂર્ણ કરવાના સંકલ્પ,મક્કમતા અને સંપૂર્ણ તૈયારી ન હોય તો એવી ઈચ્છાઓની બરણી ફૂટે તેમાં કોઈ નવાઈ નથી. તો સાથે સાથે એ બધું જ હોય છતાંયે પ્રારબ્ધ વાંકુ હોય તો સફળતા ન મળે અને ફૂટવાના સંજોગો ઉભા થઈ જાય એમ પણ બને. જીંદગીની આ એક અનુત્તર સમસ્યા છે. આવી ગંભીર વાતને કલમના જાણે કે એક જ લસરકાની જેમ કેટલી સહજતાથી કવિએ આલેખી છે!
વિષયનો ક્રમિક વિકાસ કરતાં બીજા અંતરામાં એ જ વાત આગળ વધે છે. જાણે કવિ પોતે કારણોની પળોજણમાં ઊંડા ખૂંપે છે કે, મનની ખૂબ ઊંચી છાજલીએ એની કૂંચી મૂકી હતી. તો યે કોણ જાણે કોણ આવી એને લૂંટી ગયું? ને બધું યે ફૂટી ગયું?
“મનની આ અભરાઈ ખૂબ જ ઊંચી ઊંચી ઊંચીજી, અને અમે સંતાડી રાખી કૂંચી કૂંચી કૂંચીજી તોય કઈ ટોળી આવીને લૂટી ગઈ રે લોલ? ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.”
અહીં મને સંસ્કૃતનું એક સુંદર સુભાષિત યાદ આવે છેઃ मनसाचिन्तितंकार्यंवचसानप्रकाशयेत्। अन्यलक्षितकार्यस्ययतःसिध्धिर्नजायते॥.
મનથી વિચારેલા કામને કદી કોઈની આગળ જાહેર ન કરવું .બીજાંના ધ્યાનમાં આવેલ કાર્યને સફળતા મળતી નથી!
કંઈક આવો જ ભાવ આ બીજાં અંતરામાં સમાયેલો છે કે જ્યાં સુધી નક્કી કરેલ કામ કે કોઈ સારો આશય/ઇચ્છા અંગે બહુ વાતો નહિ કરવી પણ એને પાર પાડવા મથતા રહેવું. કારણ દુનિયા તો દોરંગી છે.ક્યારે કયા ઢાળમાં વળી જાય,કહેવાય નહિ! કેટલીક વાર સાથ-સંવાદ ને બદલે વિખવાદ ઉભો થાય અને બધું વેરવિખેર કરી નાંખે. સજ્જતાની સાથે સાથે સજાગતા અને સભાનતા ખૂબ જ જરૂરી હોય છે.
અગાઉ કહ્યું તેમ એક બીજો પણ ગૂઢાર્થ નીકળે છે. ફરી વાર આખું યે ગીત વાંચતા એમ લાગે છે કે, આમ તો આમાં કશુંક ફૂટ્યાની વેદના વ્યક્ત થઈ છે. વ્યથાની કથા કરી છે, કાચ ફૂટ્યાથી થતી ઝીણી ઝીણી કરચો પથરાયાની અને કદાચ વાગ્યાની વાત છે. અરમાનોની આતશબાજી સળગી છે. છતાં ક્યા યે ચીસ નથી,આહ નથી,પીડા નથી, કોઈ રુદન નથી.બલ્કે શાંતિપૂર્વકનો સાચો ઉકેલ છે. ચર્ચા જાત સાથે કરવાની છે. જગત સાથે નહિ. મનોમંથન કરી કારણને નાબૂદ કરવાનું છે. એ અંગે રોદણા રડીને જીવનનો અમૂલ્ય સમય વેડફવાનો નથી. પણ સાચી શાંતિના ઉકેલરૂપ સમજણની ચાવી શોધીને, કાયાની ઉંચી અભરાઈએ રહેલાં દિમાગના એક ખાનામાં સાચવીને રાખવાની છે; એવી રીતે કે કોઈ દુર્વૃત્તિની ટોળકી આવીને ફરીથી લૂંટી ન લે અને ફરી પાછી બરણી ફૂટી ન જાય..!!
ખૂબ જ નાનકડા ગીતમાં કવિએ કેટકેટલું સરળતાથી,ખળખળ વહેતા ઝરણાની જેમ ભર્યું છે. સાચા કવિની આ જ તો ખૂબી છે ને? જીંદગીની એક ખૂબ ઉંચી વાત,ઉમદા શીખ, ઇચ્છાઓની બરણી દ્વારા લોકગીત જેવા અનોખા અંદાઝમાં અહીં કહેવાઈ છે. માત્ર બે જ અંતરામાં પૂરા થતાં આ ગીતમાં શરુઆતથી અંત સુધી વિષય,તેનો વિકાસ, લય,લોકગીત જેવો ઢાળ,રાગ વગેરે સુંદર રીતે સચવાયા છે. કેટલાંક શબ્દોની પુનરોક્તિ જેવાં કે, કરચો,કરચો,ઊંચી ઊંચી, કુંચી કુંચી વગેરે પણ ભાવને અને તેના માધુર્યને,અર્થગાંભીર્યને વધુ ઉઠાવ આપે છે.
આમ, નાજુક નાજુક ઇચ્છાઓ તૂટ્યાની, ભારે ભારે વાત, આટલી હળવી હળવી રીતે કરનાર કવિ શ્રી અનિલ ચાવડાની કલમને સલામ અને ખૂબ ખૂબ અભિનંદન.
સ રસ કાવ્યનૂં સુંદર રસ દર્શન
LikeLiked by 1 person
આટલું સુંદર કાવ્ય અને તેની સાથે સાથે રસદર્શન……વાંચવામાં ઑર મઝા પડી!
LikeLike
દેવિકાબેન ! બહુ સરસ રસ દર્શન કરાવ્યું … સાવ નાનું અમથું લોકગીત ઢાળનું કાવ્ય પણ રસદર્શનથી દીપી ઉઠ્યું !
LikeLike