આપણે જોયું કે ક્રિયાપદો કાં તો finite હોય, કાં તો non-finite હોય.
Finite ક્રિયાપદો કાળયુક્ત હોય. અર્થાત્, એ પ્રકારનાં ક્રિયાપદોમાં કાળ કેન્દ્રમાં હોય. જેમ કે, (૧) ‘રમેશ ચાલે છે’ વાક્ય લો. એમાં ‘ચાલે’ finite ક્રિયાપદ છે. કેમ કે, એમાં આવતો ‘-એ’ કાળ દર્શાવે છે. અહીં એ વર્તમાનકાળ પ્રગટ કરે છે. જો કે, આ જ ‘-એ’ પુરુષ અને વચન પણ પ્રગટ કરે છે. પણ, અહીં એ મુદ્દો મહત્ત્વનો નથી.
Non-finite ક્રિયાપદોને આપણે કાળમુક્ત ક્રિયાપદો કહી શકીએ. કેમ કે આ પ્રકારનાં ક્રિયાપદો કાળ વ્યક્ત નથી કરતાં. દાખલા તરીકે (૨) ‘રડતો છોકરો’ વાક્યખંડ લો. એમાં ‘રડતો’ કાળમુક્ત ક્રિયાપદ છે. કોઈ કહેશે કે પણ એમાં ‘-ત્-’ પ્રત્યય છે એનું શું? શું અહીં ‘-ત્-’ પ્રત્યય કાળનું સૂચન નથી કરતો? મારો જવાબ છે: ના. અહીં ‘-ત્-’ કાળનું નહીં પણ અવસ્થાનું સૂચન કરે છે. એ સૂચવે છે કે ક્રિયા અપૂર્ણ હતી અથવા ચાલુ હતી. આવાં જ બીજાં વાક્યોમાં (૩) ‘રમેશ ચાલતાં ચાલતાં પડી ગયો’નો પણ સમાવેશ કરી શકાય. અહીં, ‘ચાલતાં ચાલતાં’માં આવતો ‘-ત્-’ કાળવાચક નથી. અવસ્થાવાચક છે.
Non-finite ક્રિયાપદોની ચર્ચા કરતાં આપણે જોયું કે એ પ્રકારનાં ક્રિયાપદો ક્યારેક નામ, વિશેષણ કે ક્રિયાવિશેષણ તરીકે પણ કામ કરતાં હોય છે. છેલ્લા લેખમાં આપણે ક્રિયાપદો કઈ રીતે ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે એ જોયું. એમાં આપણે (૪) ‘રમેશ ચાલતાં ચાલતાં પડી ગયો’ અને (૫) ‘એને જોતાં જ મને ખબર પડી ગઈ કે એ રમેશ છે’ જેવી વાક્યરચનાઓને સમજવાનો પ્રયાસ કર્યો. એના જ એક ભાગ રૂપે આપણે કહ્યું કે આ પ્રકારની વાક્યરચનાઓમાં ઓછામાં ઓછી બે ક્રિયાઓનો થતો હોય છે. પણ એ બે ક્રિયાઓ માટે બે અલગ અલગ કહી શકાય એવાં વાક્યો નથી હોતાં. એની સામે (૬) ‘રમેશે નાહીને ખાધું’ જેવાં વાક્યો લો. આ વાક્યમાં પણ બે ક્રિયાઓ છે. ‘નાહવું’ અને ‘ખાવું’. આ બન્ને ક્રિયાઓનો કર્તા પણ એક જ છે: ‘રમેશ’. જો કે, બન્ને ક્રિયાઓમાંની એક પહેલાં બને છે ને બીજી પછી. પહેલાં ‘નાહવું’, પછી ‘ખાવું’. એટલું જ નહીં, આમાંની પહેલી બનતી ક્રિયાને subordinate વાક્યમાં મૂકવામાં આવી છે. જુઓ, ‘(રમેશ) નાહ્યો’ અને ત્યાર પછી બનતી ક્રિયાને મુખ્ય વાક્યમાં મૂકવામાં આવી છે: ‘રમેશે ખાધું’. પણ subordinate વાક્યમાં મૂકવામાં આવેલા ક્રિયાપદને કોઈ કાળવાચક, પુરુષવાચક, લિંગવાચક કે વચનવાચક પ્રત્યય લાગ્યો નથી. એને બદલે -ઈને પ્રત્યય લાગ્યો છે. હું સમજું છું ત્યાં સુધી આ ‘-ઈને’માં આવતો -ઈ- ક્રિયા પૂરી થઈ ગઈ હોવાનું સૂચવે છે. કદાચ એને કારણે જ ઘણા વ્યાકરણશાસ્ત્રીઓ એને ભૂતકાળ સાથે સાંકળે છે. એ જ રીતે, કેટલાક ‘-ને’ને ‘અને’નું સંક્ષિપ્ત સ્વરૂપ માને છે. પણ આ મુદ્દે નવસેરથી વિચારવા જેવું છે. જેમ કે, ‘મીતાને બે છોકરીઓ આવી’ જેવાં વાક્યોમાં ‘-ને’નો અર્થ આપણે ‘અને’ નહીં કરીએ. જો કે, કોઈ કહેશે કે અહીં -ને’ વિભક્તિનો પ્રત્યય છે જ. પણ, માનો કે મારે ‘મીતા આવી’ અને ‘બે છોકરીઓ આવી’ આ બે વાક્યોને જોડવાં હોય તો હું ‘-ને’થી નહીં, ‘અને’થી જ જોડી શકું. હું માનું છું કે ‘-ઈને’માં આવતો -ને subordinate clauseમાં જ વધારે વપરાય છે. બીજે ઓછો. એમ છતાં આની પણ તપાસ તો થવી જ જોઈએ. હવે તમે (૬)માં બનતી ક્રિયાઓનો ક્રમ બદલો તો આખું વાક્ય આમ થશે: (૭) ‘રમેશ ખાઈને નાહ્યો’.
આ પ્રકારની વાક્યરચનાઓમાં ક્રિયાઓની યોગ્યતા (compatibility) પણ જોવી જોઈએ. આપણે (૮) ‘રમેશે ખાઈને ખાધું’ નહીં કહી શકીએ. એનો અર્થ એ થયો કે મુખ્ય વાક્યમાં અને પેટા વાક્યમાં કોઈ એક જ ક્રિયા ન હોઈ શકે. એ જ રીતે, (૯) ‘રમેશે આત્મહત્યા કરીને ખાધું’ પણ નહીં કહી શકીએ. કેમ કે, આત્મહત્યા કર્યા પછી આત્મહત્યા કરનાર બીજી કોઈ ક્રિયા ન કરી શકે. પણ, આમ જુઓ તો બન્ને વાક્યો વ્યાકરણની રીતે ખોટાં નથી. આ પણ એક તપાસનો મુદ્દો છે. કોઈકે એના પર કામ કરવું જોઈએ.
કેટલાક ભાષાશાસ્ત્રીઓ -ઈને પ્રત્યયવાળાં ક્રિયાપદોને converb, સંક્ષિપ્તમાં CONV તરીકે ઓળખાવે છે. ભાષાશાસ્ત્રમાં CONV પર અઢળક કામ થયું છે. જો કે, મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ CONVમાં આપણે અગાઉના લેખમાં જેની ચર્ચા કરી છે એ પ્રકારનાં ક્રિયાપદમૂલક વિશેષણોનો પણ સમાવેશ કરે છે. આપણે ગુજરાતી ભાષાની ભાત જોઈને એ બન્નેને જુદાં રાખ્યાં છે. આપણે જોયું એમ ગુજરાતીમાં ‘-ઈને’ કેવળ embedded clauseમાં જ આવે. આ અગાઉના લેખમાં આપણે જે ક્રિયાપદમૂલક ક્રિયાવિશેષણોની વાત કરી છે એ embedded clauseમાં નથી આવતાં.
ગુજરાતી CONVની એક બીજી પણ એક ખાસિયત છે. એમાં CONVની દ્વિરુક્તિ થઈ શકતી હોય છે. જેમ કે, (૧૦) ‘રમેશ ચાલી ચાલીને થાકી ગયો’ વાક્ય લો. આ પ્રકારનાં વાક્યોમાં આપણે ‘ચાલીને ચાલીને’ નથી વાપરતા. એ જ રીતે, આપણે ‘ચાલ ચાલીને’ પણ નથી વાપરતા. આ પ્રક્રિયા ઘણું બધું સૂચવી જાય છે. સૌ પહેલાં તો એ સૂચવે છે કે ગુજરાતી ભાષકો સૌ પહેલાં તો ક્રિયાપદના મૂળને ‘-ઈ-’ લગાડતા હોય છે. એ રીતે, ‘ચાલવું’નું ‘ચાલી’ બને. ત્યાર બાદ એની દ્વિરુક્તિ કરતા હોય છે. એ રીતે, ‘ચાલી ચાલી’ બને. અને ત્યારે પછી એને ‘-ને’ પ્રત્યય લગાડતા હોય છે. અને એ રીતે ‘ચાલી ચાલીને’ બનતું હોય છે. સિદ્ધાન્તની રીતે જુઓ તો આ ખૂબ જ સંકુલ પ્રક્રિયા છે. એનો અર્થ એ થયો કે -ઈ અને -ને બન્ને અલગ અલગ પ્રત્યયો છે.
ગુજરાતીમાં CONV કઈ રીતે કામ કરે છે અને એ નિયમિત ક્રિયાવિશેષણથી કઈ રીતે જુદાં પડે છે એ એક તપાસનો વિષય છે. એના એક ભાગ રૂપે આપણે (૧૨) ‘રમેશ ચાલીને જ થાકી ગયો’ કે (૧૩) ‘રમેશ ચાલી જ ચાલીને થાકી ગયો’ કે (૧૪) ‘રમેશ ચાલી ચાલીને જ થાકી ગયો’ જેવાં વાક્યો બોલીએ છીએ કે કેમ એ વિશે વિચારવું પડે. ‘જ’ અને ‘ય’ જેવા નિપાતો embedded clauseમાં આવે કે કેમ એ વિષય પર કોઈકે સંશોધન કરવા જેવું છે.
એટલું જ નહીં, CONV ક્યા પ્રકારના અર્થો પ્રગટ કરે એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. હરિવલ્લભ ભાયાણીએ એમના ‘થોડોક વ્યાકરણ વિચાર’માંના ‘સંબંધક ભૂત કૃદંતના અર્થ’ પ્રકરણમાં આ મુદ્દા પર ચર્ચા કરી છે. એ ત્રણ મુખ્ય અર્થોની વાત કરી છે. એમાંનો એક અર્થ તે પૂર્વકાલીન ક્રિયા દર્શાવવાનો. જેમ કે, (૧૫) ‘રમેશે નાહીને ખાધું’. બીજો અર્થ તે કારણ઼દર્શક. જેમ કે, (૧૬) ‘રમેશ પરણીને પસ્તાયો’. અહીં ‘પરણવું’ પહેલાં બનતી ઘટના છે અને ‘પસ્તાવું’ ત્યાર પછી બનતી ઘટના છે. પણ, જો રમેશ પરણ્યો ન હોત તો પસ્તાતો નહીં. એથી, ભાયાણી કહે છે એમ, (૧૬) કારણવાચક CONV બની જાય છે. ત્રીજો અર્થ તે રીતિવાચક. ભાયાણી કહે છે કે આ પ્રકારનાં વાક્યોમાં ‘ઉત્તરવર્તી ક્રિયા કઈ રીતે થાય છે કે કરાય છે’ એ CONV વડે પ્રગટ થતું હોય છે. જેમ કે, (૧૭) ‘રમેશ ચાવીને ખાય છે’. અહીં ‘ખાવું’ ઉત્તરવર્તી ક્રિયા છે. અને એ ક્રિયા કર્તા ‘રમેશ’ ‘ચાવીને’ કરી રહ્યો છે.
છેલ્લે, ક્રિયાપદમૂલક વિશેષણોની વાત કરતી વખતે આપણે ‘-નાર્’ પ્રત્યયની વાત કરેલી. જેમ કે, (૧૮) ‘આવનારો માણસ’. અહીં આપણે જાણીએ છીએ એમ ‘આવનારો’ના પાયામાં ‘આવવું’ ક્રિયાપદ પડેલું છે અને એના મૂળ ‘આવ્-‘ને ‘નાર્’ પ્રત્યય લાગ્યો છે. પછી એને પુલ્લિંગ ‘-ઓ’ પ્રત્યય લાગ્યો છે. ગુજરાતી ભાષાના લગભગ બધા જ વિદ્વાનો ‘-નાર્’ને ભવિષ્ય કૃદંત ગણાવે છે. જોકે, પ્રબોધ પંડિત જેવા એના માટે ‘સાપેક્ષ રચના’ સંજ્ઞા વાપરે છે. મને લાગે છે કે આ વિશે વધારે સંશોધનની જરૂર છે. પણ એક વાત નક્કી છે કે આપણે ‘-નાર્’ પ્રત્યયના ઉપયોગથી ક્રિયાપદને વિશેષણમાં ફેરવતા હોઈએ છીએ.
જો કે, અહીં એક પ્રશ્ન અવશ્ય પૂછી શકાય. આપણે ‘-નાર્’ પ્રત્યય વાપરીએ છીએ કે ‘-નારું’? (૧૯) ‘સમયસર કામ કરનારો રમેશ’ જેવા વાક્યમાં આપણે ‘કરનારો’ વિશેષણ વાપર્યું છે. એને બદલે આપણે (૨૦) ‘સમયસર કામ કરનાર રમેશ’ પણ વાપરી શકીએ. આ variations વ્યાકરણમૂલક છે કે સમાજભાષાવૈજ્ઞાનિક એ એક પ્રશ્ન છે. પણ, જો આપણે ‘-નાર્’ને પ્રત્યય ગણીએ તો ‘કામ કરનારો’માં આપણે એમ કહેવું પડશે કે આપણે પહેલાં ‘કરનાર્’ શબ્દ બનાવ્યો અને પછી એને પુલ્લિંગનો ‘-ઓ’ પ્રત્યય લગાડ્યો. જો આપણે એમ કહીએ કે ‘-નાર્’ પ્રત્યય નથી, ‘-નારું’ પ્રત્યય છે. તો આપણે ‘કામ કરનાર રમેશ’ જેવી રચનાઓમાં પહેલાં ‘કર-‘ને ‘-નારું’ લગાડી પછીથી ‘-ઉં’નો લોપ કરવો પડશે. એક ત્રીજો વિકલ્પ પણ છે. આપણે બન્ને પ્રત્યય સ્વીકારી શકીએ. પણ, એ વિકલ્પ સ્વીકાર્યા પછી આપણે એક પ્રશ્નનો જવાબ આપવો પડે: ‘કરનાર’/‘કરનારું’માંથી કોઈ એકની પસંદગી ભાષક કયાં ધોરણોને આધારે કરતો હશે?
આ પ્રકારનાં ક્રિયાપદમૂલક વિશેષણો પણ અભ્યાસીને ગૂંચવી નાખે એવાં છે. કેમ કે, એમને નિયમિત વિશેષણો સાથે વાપરવામાં જરાક મુશ્કેલી પડતી હોય છે. આપણે (૨૧) ‘પેલો રૂપાળો અને આવનારો છોકરો’ જેવી રચનાઓ ન વાપરી શકીએ. એમ છતાં તમે પણ વિચાર કરજો.
ગુજરાતીમાં CONV જેવો સમજવામા અઘર વિષયને દ્ર્ષ્ટાંત સાથે સરળ ભાષામા સમજાવવા બદલ
મ શ્રી બાબુ સુથારને ધન્યવાદ
LikeLike