ચિત્રકળા-૧ (પી. કે. દાવડા)


 ચિત્રકળા-૧

ચિત્રકળા દેશ અને કાળથી પર છે. ચિત્રક્ળા હજારો વર્ષ જૂની છે. પાષાણ યુગમાં પણ હતી. અનેક શિલાલેખ, ગુફાઓમાં થયેલા કોતરકામ વગેરે પૂરાવાઓ આજે પણ અસ્તિત્વમાં છે.

 આપણી લાગણીઓને પ્રગટ કરવાનું અથવા તો એકબીજા સાથે લાગણીઓને શેર કરવાનું માધ્યમ એટલે આપણી ભાષા. જૂનામાં જૂની ભાષા ચિત્રો ગણાય. જયારે ભાષા ફક્ત બોલાતી હતી એટલે કે લેખિત સ્વરૂપ ન હતું ત્યારે પણ ચિત્રો દ્વારા એકબીજાને સંદેશાઓ આપવાનું કાર્ય ચાલતું હતું.

જે વાત શબ્દોમાં ન સમજાવી શકાય એ વાત સમજાવવાની તાકાત ચિત્રકળાના માધ્યમમાં છે.

કુદરતી તત્વોમાંથી રંગો બનાવી ચિત્રકામ કરવાનો હુન્નર પણ સદીઓ પુરાણો છે.  ચિત્રકળાના ઈતિહાસ વિષે લંબાણમાં લખવાને બદલે હું લેખમાં ચિત્રકળાના મૌજુદા પ્રકારોની માહિતીથી લેખમાળાની શરૂઆત કરૂં છું.

સમજવામાં સહેલું પડે એટલે ચિત્રકળાના માધ્યમો અનુસાર પ્રકારોનું વર્ગીકરણ કરૂં છું. સૌથી વધારે વપરાશના ફલક તરીકે કાગળ અને કેનવાસનો ઉપયોગ થાય છે. એની ઉપર ચિત્રકામ માટે વપરાતા રંગો અને અન્ય સામગ્રી અનેક પ્રકારની હોય છે. કાગળ અને કેનવાસ સિવાયના ફલકનું લીસ્ટ પણ ઘણું લાંબું છે, જેવાકે લાકડું, ધાતુ, પથ્થર, પ્લાસ્ટર વગેરે વગેરે. ટુંકમાં જે ફલક ઉપર રંગો ચોંટી શકે ફલક વાપરી શકાય. એમ. એફ. હુસેને તો સફેદ ઘોડાને ફલક બનાવેલું.

રંગોના મુખ્ય ચાર પ્રકાર વધારે વપરાશમાં છે. Oil Paints, Pastel Colours, Acrylic Colours અને Water Colours. આમાના પ્રત્યેકની ખાસિયતો આપણે હવે પછીના લેખમાં જોઈશું.

રંગો સિવાય પેન્સીલ, ચારકોલ અને શાહીથી પણ સુંદર ચિત્રો તૈયાર થયા છે અને થાય છે.

કેટલાક ચિત્રોમાં ગરમ મીણનો ઉપયોગ કરવામાં આવે છે.

મુરલ અને ફ્રેસ્કોનો પણ ચિત્રકળામાં સમાવેશ થાય છે. એનેમલ પેઈન્ટીંગ, ગાઉચ, સ્પ્રેપેઈન્ટ અને ટેમ્પારા ચિત્રક્ળાના અન્ય પ્રકારો છે. હવે તો ડીજીટલ પેઈંટીંગ પણ ચિત્રકળાનો એક પ્રકાર ગણાય છે.

ચિત્રકળા દ્વારા કલાકાર વાસ્તવિકતા અથવા પોતાના મનના ભાવો વ્યકત કરે છે. વાસ્તવિકતામાં જે જૂવે છે એને કેમેરાની જેમ ઝડપી લઈ અને કાગળ, કેનવાસ કે અન્ય માધ્યમ ઉપર રજૂ કરે છે. આમાં મનુષ્યોના ચિત્રો, પશુપક્ષીઓના ચિત્રો કે કુદરતના નજારાનો સમાવેશ થાય છે. મનના ભાવ વ્યક્ત કરવા કોઈક કાલ્પનિક રૂપકોને ચિત્રનું સ્વરૂપ આપે છે. ઈતિહાસની સાચવણીમાં ચિત્રકળાએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

ચિત્રનું આંકલન કરવા માટે અનેક વાતો ધ્યાનમાં લેવામાં આવે છે. ચિત્રનું કદ, ચિત્રના માધ્યમ, રંગોનો તાલમેલ, રંગોની તીવ્રતા અને ઝાંખપ, ચિત્રની પ્રવાહિતા, ચિત્રનું સૌંદર્ય વગેરે વગેરે.

ચિત્રોનું વર્ગીકરણ પણ એક અલગ વિષય છે. દા.. લેન્ડસ્કેપ, પોરટ્રેઈટ, સ્ટીલ લાઈફ, એબ્સ્સ્ટ્રેક્ટ, સમકાલિન, પ્રાચીન વગેરે વગેરે.

બધી બાબતોમાં મારૂં જ્ઞાન સીમિત છે, પણ જેટલું છે એટલું આંગણાંના મહેમાનો વચ્ચે વહેંચવા પ્રયતન કરીશ.

                                     

5 thoughts on “ચિત્રકળા-૧ (પી. કે. દાવડા)

  1. ચિત્રકળા લેખમાળાનું સ્વાગત અભિનંદન અને શુભેચ્છાઓથી
    સામાન્યતયા ચિત્રકળામા સૌંદર્ય, કળા ,પ્રતિબિંબ, વિચાર અને તત્વજ્ઞાન માણવાના વિષયો હોય છે .આપે લેખમાળાની શરુઆતમાં જ સ રસ રસદર્શન કરાવ્યુ

    ધન્યવાદ

    Like

પ્રતિભાવ